જાતજાતની હઠના પ્રકારોમાં એક બાળહઠને સહુ કોઈ જાણે છે. પોતાની જોઈતી વસ્તુ કે વર્તન માટે બાળક જાતજાતનાં પ્રયોજનો, નખરાં, ધમાલ, કજીયા, તોડફોડ સુધ્ધાં કરે. સામાન્ય રીતે બાળક પોતાની હઠમાં વાલી સામે સામે જીતી જતું હોય છે. તેમાંયે ઘરમાં દાદા—દાદી જેવાં વડીલો હોય ત્યારે વ્હાલને વશ થઈ અથવા કકળાટ બંધ કરવા તેઓ બાળકની મોટાભાગની હઠ પૂરી કરતાં હોય છે. જે બાળકની હઠ પૂરી થાય તે બાળપણમાં એવું શીખે કે પોતાને જોઈતી બધી ઇચ્છા પૂરી કરવા હઠ એક બહુ હાથવગું સાધન છે. મોટું થતાં આવાં બાળકોને અન્યો સાથે હળીમળીને રહેવામાં તકલીફ પડે છે કારણ કે તેને બાંધછોડ કરતાં ના આવડે.

હઠ કરવાનું બીજું એક પ્રયોજન હોય છે તે બીજાઓનું ધ્યાન પોતાના તરફ ખેંચી રાખવાની તજવીજ. બાળક મોટું થાય તેમ તેનો ઈગો—અહમ્ વિકાસ પામતો હોય. તેમાંય તેની આસપાસના સહુ તેને ખાસ ધ્યાન આપે તે બહુ ગમતું હોય છે. તેવી રીતે પોતે કોઈને પજવી શકે તેવા અનેરો આનંદ પણ આવતો હોય છે. આ મનોવૈજ્ઞાનિક પ્રકિયાને તબીબો અંગ્રેજીમાં “અ’ટેન્શન સીકિંગ બિહિેવયર” તરીકે ઓળખે છે, જે પછીથી પુખ્ત વયે પણ ચાલુ રહે છે. આનું સારું પાસું એ છે કે જેનામાં આ પરિબળ યોગ્ય માર્ગે દોરવાય તો તે માણસને પોતાના આંતરિક અને અન્ય વિકાસમાં મદદ કરી શકે છે. જો યોગ્ય માર્ગે ના દોરવાય તો વ્યક્તિ તોડફોડ અને અસામાજિક માર્ગે પણ જઈને લોકોનું પોતાના તરફ ધ્યાન દોરે છે.

હઠ કરવાનું અન્ય એક કારણ છે કે તે આ ગુસ્સો પ્રદર્શિત કરવાનું એક સાધન છે. નાના બાળકને પણ ગુસ્સો આવે પણ તે મોટાઓ પર સીધો ઉતારી ના શકે પણ છેવટે તે હાથપગ પછાડે, તોડફોડ કરે, માથું પછાડે, બરાડા પાડે, વગેરે જેવું હઠીલું—તોફાની વર્તન કરે.

આમ પોતાનું ધાર્યું કરાવવા, આજુબાજુના લોકોનું ધ્યાન પોતાના તરફ દોરવી રાખવાના, અન્યને પજવવાનો આનંદ મેળવવા કે ગુસ્સો પ્રદર્શન કરવા બાળક જાતજાતનાં હઠીલાં વર્તન કરે. આવા વર્તનની શરૂઆત સામાન્ય રીતે ૧ થી ૩ વર્ષની ઉંમરે થાય જેમાં ઉંમર પ્રમાણે વિવિધ પ્રકારો જોવા મળે. નાનું બાળક સતત રડયા કરે અને કજિયા કરે, કોઈ વાતે માને નહીં, મારામારી કરે, હાથમાં આવે તે બધી વસ્તુઓ ફેંકવા માંડે, નીચે બેસીને પગ ઘસ્યા કરે, ચિલ્લાયા કરે, અપશબ્દો બોલે, અન્યોના કામની વસ્તુ બગાડી નાખે—ફોડી નાખે, માથું પછાડે. ઘણાં તો એકદમ શ્વાસ રોકી લે અને ભૂરાં—કાળાં પડી જાય (જેમાંથી ક્યારેક બેભાનાવસ્થા કે આંચકીમાં પણ પરિણમે). આવા બધા વર્તનને અંગ્રેજીમાં “ટેન્ટ્રમ્સ” કહેવાય છે. જ્યારે તેમાં ગુસ્સો ભળે ત્યારે “ટેમ્પર ટેન્ટ્રમ્સ” કહેવાય છે જેને આપણે સહુ “કજિયા” કે “બાળહઠ” તરીકે વર્ણવીએ છીએ.

બાળકના આવા વર્તન સામે માબાપ—વાલીઓ કેવી રીતે વર્તે તે બાળકના મનોવૈજ્ઞાનિક ઘડતરમાં ઘણો ભાગ ભજવે છે.

સામાન્ય રીતે બાળહઠની જીત થતી હોય છે જેમાં બાળકને “શાંત” કરવા તેને જોઈતી વસ્તુ અપાવી દેતાં હોય છે. જ્યારે તેવું શક્ય ના હોય અથવા સામાજિક રીતે ખૂબ પ્રતિકૂળ હઠ હોય ત્યારે બાળકને ધમકાવીને કે મારીને શાંત કરી દેવાતું હોય છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ આ બંને રીતે લાંબે ગાળે અન્યો સાથે સાનુકૂળ વર્તન કરવામાં તકલીફ પેદા થઈ શકે છે.

તંદુરસ્ત બાળકને સામાન્ય રીતે કજિયા કે હઠીલા વર્તન સાથે અન્ય મનોવૈજ્ઞાનિક તકલીફો ના હોય, પણ જો કજિયાળું બાળક અંગુઠો ચુસ્યા કરે, આખો દિવસ આનંદમાં ના રહે પણ ચીડિયું રહ્યા કરે, ખૂબ વધારે ઊંઘે અથવા ખૂબ ઓછું ઊંઘે, વારંવાર પથારીમાં પેશાબ કરે (કંટ્રોલ કરતાં શીખી ગયું હોય અને હવે કંટ્રોલ છૂટી ગયો હોય), વધારે પડતી ઈર્ષા કરે વગેરે જેવાં લક્ષણો ધરાવતું હોય તો સમજવું કે કજિયા કરવાનાં ગંભીર કારણો છે.

તેવી જ રીતે, જો દિવસમાં ચાર કરતાં વધુ વાર અને પંદર મિનિટથી વધુ લાંબા સમય માટે બાળક કજિયાગ્રસ્ત રહે તો સમજવું કે પરિસ્થિતિ વણસી રહી છે. ક્યારેક બાળક માંદું હોય અથવા માંદગીમાંથી બહાર આવી રહ્યું હોય ત્યારે પણ વધારે કજિયા કરી શકે છે. જો કાયમ માટે બાળકનું કજિયાળું વર્તન હોય તો સમજવું કે બાળક સાથે વડીલોના વર્તનમાં પણ કંઈક સુધારાની જરૂર છે.

જો કાયમી કજિયાળું બાળક હોય તો અમુક મુદ્દાઓ પર ફેરવિચારણા કરવી જોઈએ જેમકેઃ

બાળકને રમવા માટે ઘરની બહાર ખુલ્લી જગ્યા મળે છે કે નહીં? (જ્યાં તે પોતાનું જોર કાઢી શકે) જેમકે લસરપટ્ટીઓ, ફૂટબોલ, કૂદવાની રમતો, ધક્કો મારવાની કે ખેંચવાની રમતો વગેરે. આવી રમતો જરૂરી હોય છે.

ઘરની અંદર પણ બાળકને ગમે અને સમય સારી રીતે પસાર થઈ જાય તેવી રમતો છે?

એ જોવું પણ ખાસ જરૂરી છે કે બાળકને રમતમાંથી છોડાવવા અને કંઈક કામ કરાવવા જેમ કે રમતા બાળકને જમવા બોલાવવા, રમત બંધ કરીને ભણવા બેસવા, નહાવા જવા, બજારમાંથી કોઈ વસ્તુ લાવવા, ઘરકામમાં મદદ કરાવવા વગેરે જેવી પરિસ્થિતિમાં બાળક સાથે સંવાદ અને વર્તન તેવું નથી ને કે જે બાળકને ઈરીટેટ (પરેશાન) કરતું હોય? શક્ય હોય ત્યાં સુધી તેને ગમતી હોય તેવી રીતે કામને ઢાળીને બાળક સામે પેશ કરવું પડે.

બાળકને દરેક નાની બાબતમાં પૂછપૂછ કરીને વર્તતાં નથી ને? જેમ કે તારે ન્હાવું છે? તારે કપડાં પહેરવાં છે? તારે ખાવું છે? આવા પ્રશ્નોથી બાળક ના પાડવા પ્રેરાય અને પછી અસર શરૂ થાય. તે પોતાની ના પાડવાની આ ઇચ્છા પ્રકટ કરે અને જો પૂરી ના થાય તો કજિયા શરૂ થાય. પૂછ પૂછ કરવાને બદલે સીધું બોલ્યા વગર કામ પતાવી શકાય જેમ કે તેની સામે તેને ગમે તેવી અન્ય બાબતની વાત કે રમત કરતાં કરતાં કપડાં પહેરાવી દેવાય, સ્નાન પણ કરાવી દેવાય!!

ટીપ્સ — કજિયા કરતાં બાળક સાથે કેવી રીતે વર્તવું?

નાના બાળકને જો બીજે ધ્યાન દોરવી શકાય તો તેમ કરવું એકદમ સારું પડે. જેમકે જેવું બાળક જીદે ચડે કે તરત તેને આજુબાજુ કે ઘરની બહાર કોઈ વસ્તુ, જાનવર વગેરે બતાવતાં વાતો કરવા માંડવી. પણ મોટા બાળક સાથે આવું કામયાબ ના નીવડે ત્યારે નીચેના મુદ્દાઓ ધ્યાન રાખવા.

જીદે—કજિયે ચડેલું બાળક હાથ—પગ—માથું પછાડે, આળોટે ત્યારે આસપાસ તેને વાગી જાય તેવું કે કંઈ તૂટી જાય એવી વસ્તુ પડી હોય તો ખસેડી લેવી.

આવા બાળકને જે તે સમયે કોઈપણ પ્રકારનું ધ્યાન ના આપવું. તેની સાથે કોઈ સંવાદ કે દલીલો ના કરવા, તેને મનાવવા કે સમજાવવાની કોશિશો ન કરવી. માત્ર તમારા પોતાના કાર્યમાં રત રહેવું અને જાણે બાળક ત્યાં છે જ નહીં તેમ વર્તવું. બાળકની ધમાલ કે અવાજ સહન ન થાય તો તમારે રૂમ છોડી બીજે જતાં રહેવું. પછી શાંત થવાની જવાબદારી બાળકની પોતાની રહે છે અને તેને કોઈપણ પ્રકારે ધ્યાન ન મળતાં આપોઆપ શાંત થઈ જશે. આવી રીતે વર્તવા ધીરજ અને સમજદારીની ખૂબ જરૂર પડે છે પણ આ સૌથી કામિયાબ રસ્તો છે. તેને માથા—હાથ—પછાડવા દેવા, રોકવું નહીં. બાળક જાતે પોતાને ક્યારેય વગાડશે નહીં તેનું આપમેળે ધ્યાન રાખશે તે નક્કી છે, વસ્તુઓ તોડવા માંડે તો તે જરૂર આંચકી લેવી.

બાળક શાંત પડયા બાદ કે કજિયા દરમ્યાન એવું વર્તન ક્યારેય ન કરવું કે જેથી બાળકને એવું લાગે કે તમે તેના આવા કજિયાળા વર્તનનો પછીથી ગુસ્સો કે સજા અને અન્ય રીતે બદલો લેશો.એની સામે એવું પણ ના લાગવું જોઈએ કે તમે તેના કજિયાળા વર્તનથી ત્રાસી ગયા છો કે તેની મજાક ઉડાવો છો.

જે વસ્તુ કે વર્તન માટે બાળક જીદે ચડયું હોય તે એને ક્યારે? પૂરી કરવા ના દેવી તે ખાસ ધ્યાન રાખવું.

કજિયો—રડવાનું વગેરે શાંત પડયા બાદ તેની સાથે જાણે કંઈ જ બન્યું નથી તે રીતે સ્વસ્થતાથી વર્તવું અને તે એપિસોડની કોઈ ચર્ચા ના કરવી.

રસ્તે ચાલતા કે બજારમાં કે એવી જગ્યાએ બાળક ધમપછાડા કરવા માંડે તો ચહેરા પર પૂરી સ્વસ્થતા જાળવી બાળકને ઉઠાવી લેવું અને બીજી કોઈ શાંત જગ્યાએ ખસેડી લેવું ખૂબ અગત્યનું છે. પછી ઉપર મુજબ બાળકને શાંત થવા દેવું.

આમ કજિયાળા બાળકને મા—બાપનો પૂરતો પ્રેમ મળે છે જ અને કજિયાથી પોતાની મર્યાદાની જાણ થાય તેવા પ્રયાસો થકી જ આ મામલો કાયમી નિપટાવી શકાય.