નિર્દોષતા, નિખાલસતાની મૂર્તિમંત નાનાં-નાનાં બાળકો જે આવતીકાલના નાગરિક છે, તેને કેળવવાની અને શિક્ષણાભિમુખ બનાવતા પહેલાં બાળકોની મનોવૈજ્ઞાનિક ખાસિયતો સમજી શકીએ તો બાળકના સર્વાગી વિકાસમાં સહાયક બની શકીએ.

* બાળકના વ્યક્તિત્વનો સ્વીકાર કરવો.

* બાળકસ્નેહ, હૂંફ, સલામતી અને સ્વીકાર ઝંખે છે.

* બાળકને પ્રેરણા, પ્રોત્સાહન અને કદરની જરૂર હોય છે.

* બાળકને તેની ક્ષમતા મુજબની સમસ્યાઓ ઉકેલવામાં રસ પડે છે.

* બાળકની કલ્પનાશક્તિ તીવ્ર હોય છે.

* બાળક સ્વાભિમાની હોય છે.

* બાળકની સ્મરણ શક્તિ અને ગ્રહણશક્તિ તીવ્ર હોય છે.

* બાળક  પ્રકૃતિપ્રેમી હોય છે. તેને માટી, પાણી સાથે ખૂબ રમવુંગમે છે.

* બાળક-બાળક પાસેથી વધુ શીખે છે.

* બાળકને પરાક્રમ કરતાં જોવાં અને પરાક્રમની વાતો સાંભળવી ખૂબ ગમે છે.

* બાળકમાં સંગ્રહવૃત્તિ તીવ્ર હોય છે.

* દરેક બાળકની શીખવાની ઝડપ અલગ-અલગ હોય છે.

* બાળક ચંચળ હોય છે.

* બાળકમાં આત્મસૂઝ શક્તિ વધારે હોય છે.

* બાળકમાં અનુકરણવૃત્તિ પ્રબળ હોય છે.

બીજને વિકસવા માટે જેમ યોગ્ય જમીનની, સારા ખાતર,પાણી અને ખપપૂરતા તાપની જરૂર છે, તેમ બાળકને વિકસવા માટે પોષણ, પ્રેમ અને પ્રોત્સાહનની જરૂર છે. બીજને વિકસવા માટે તેની પ્રાથમિક જરૂરિયાત પાણી તેમ બાળકને વિકસવા માટે સલામતીની જરૂરિયાત શરૂઆતથી જ રહે છે.

બાળકના પ્રથમ ગુરુ માતા-પિતા છે. આપણા શિક્ષણનું સ્તર બાળક જન્મે કે તરત જ ચાલુ થાય છે. દોઢ વર્ષનું થાય ત્યાં સુધી તે માતા પિતાની પાસે જ રહે છે. માતા પિતા તેના ગુરુ છે. માતા પિતા બંનેને બાળમાનસની કેળવણી આપવામાં આવે તો તંદુરસ્ત સમાજનું નિર્માણ થઇ શકે.